સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક (બાળરોગ) વિભાગમાં પાછલા 11 દિવસમાં શંકાસ્પદ એન્સેફાલાઇટિસ સિંડ્રોમ એટલે કે ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 3 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ વાયરસ મુખ્યત્વે 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને વધુ અસર કરતો હોવાથી અને તેનો મૃત્યુદર ખૂબ ઊંચો હોવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં એક વિશેષ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
લેબ રિપોર્ટની સ્થિતિ અને વેન્ટિલેટર સપોર્ટ
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક તબીબોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 7 જેટલા બાળકોના સેમ્પલ વાયરસ કન્ફર્મેશન માટે ખાસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે આ પૈકીના 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે, અન્ય બાળકોની સ્થિતિ હજુ પણ નાજુક છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ક્રિટિકલ કેર સપોર્ટ સિસ્ટમ પર જીવન-મરણની લડાઈ લડી રહ્યા છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ વોર્ડમાં સતત હાજર રહીને બાળકો પર વિશેષ દેખરેખ રાખી રહી છે.
