ઈડર તાલુકાના હસનપુરા સ્થિત પ્રાથમિક શાળામાં પોષણ યોજના હેઠળ પીરસવામાં આવેલા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવવાની અને ત્યારબાદ ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે પોષણ યોજના સાથે જોડાયેલા 3 કર્મચારીઓને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે.
શાળાના શિક્ષક સસ્પેન્ડ, રસોઈયા સહિત 3 કર્મચારી ફરજમુક્ત
ફુડ પોઈઝનિંગની આ ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ ઘોર બેદરકારી દાખવનાર પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક અનિલાબેન સુથારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.શિક્ષક સામે લેવાયેલા આ કડક પગલાના કારણે શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ ઉપરાંત, ભોજન બનાવવામાં લાપરવાહી બદલ પોષણ યોજનાના રસોઈયા જમીલાબેન બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘી સહિત કુલ 3 કર્મચારીઓને સેવાઓમાંથી તુરંત જ ફરજમુક્ત કરાયા છે.
