દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં તીવ્ર તાવ, ઉલટી અને મગજના સોજા (એન્સેફાલીટીસ) જેવા ગંભીર લક્ષણો ધરાવતા ત્રણ બાળ દર્દીઓને લાવવામાં આવ્યા છે. આ બાળકોમાં જામનગર ગ્રામ્ય પંથકનો એક 11 મહિનાનો માસૂમ બાળક અને એક 2 વર્ષની બાળકી સામેલ છે, જ્યારે ત્રીજું બાળક પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકાનું છે જેની ઉંમર 6 વર્ષની છે.
ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ હોવાની પ્રબળ આશંકા
બાળકોમાં જોવા મળેલા ક્લિનિકલ લક્ષણો સીધા ચાંદીપુરા વાયરસ તરફ ઈશારો કરતા હોવાથી હોસ્પિટલના બાળરોગ વિભાગ ના વડા અને તબીબોની એક વિશેષ પેનલ દ્વારા તાકીદે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જી.જી. હોસ્પિટલના તબીબી અધીક્ષકે જણાવ્યું છે કે, ત્રણેય બાળકોની હાલત હાલ ગંભીર છે અને તેમને ઓક્સિજન તથા સપોર્ટિવ કેર પર રાખવામાં આવ્યા છે. વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલો એકત્રિત કરીને ખાસ પ્રક્રિયા હેઠળ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 24 થી 48 કલાકમાં આવવાની સંભાવના છે.
