મનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા એક મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મનપાની ફૂડ શાખાની અલગ-અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલ/રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો, નોન-વેજ શોપ તેમજ ખાણીપીણીની રેકડીઓ સહિત કુલ 41 જેટલા ખાદ્ય એકમોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસણી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો 68 કિલો વાસી ખાદ્ય પદાર્થોનો જથ્થો તેમજ ખોરાક પેક કરવા માટે વપરાતી 6 કિલો પ્રિન્ટેડ પસ્તી સ્થળ પર જ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આઈસ ફેક્ટરીઓ માટે આકરા આદેશ

તપાસ દરમિયાન મનપાની ટીમે વિવિધ પેઢીઓ અને રેકડીઓમાંથી વપરાતા ખાદ્ય તેલના શંકાસ્પદ નમૂનાઓ (સેમ્પલ) પણ એકત્ર કર્યા હતા, જેને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરમાં આવેલી આઈસ (બર્ફ) ફેક્ટરીઓની પણ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આઈસ ફેક્ટરીના માલિકોને પરિસરમાં યોગ્ય સાફ-સફાઈ અને હાઈજેનિક કંડિશન જાળવવા તથા બરફ બનાવવા માટે વપરાતા પાણીમાં ફરજિયાત ક્લોરિનેશન કરવા માટે આકરા નિર્દેશો અને કડક આદેશો આપવામાં આવ્યા છે.

ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ

લોકોને શુદ્ધ, પૌષ્ટિક અને હાઈજીનિક ખોરાક મળી રહે તે હેતુથી જામનગર મનપા દ્વારા શરૂ કરાયેલી આ કડક કાર્યવાહીના કારણે શહેરના ભેળસેળિયા વેપારીઓ તેમજ અસ્વચ્છતા વચ્ચે ખાણીપીણીનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો