જૂનાગઢ હાઈવે પર હૃદયના ધબકારા બંધ કરી દે તેવી એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર એક વાહનચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગંભીર અને કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનમાં સવાર મુસાફરોમાંથી ૫ લોકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની ભયાનકતા જોઈને હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા.

વિરમગામનો પરિવાર કાળનો કોળિયો બન્યો

આ કમનસીબ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદ જિલ્લાના વિરમગામનો હોવાનું સામે આવ્યું છે. પરિવારના કોઈ સ્વજનના અવસાન બાદ તેમના અસ્થિ પધરાવવા (વિસર્જન કરવા) માટે આખો પરિવાર કારમાં સવાર થઈને પવિત્ર તીર્થધામ સોમનાથ જઈ રહ્યો હતો, પરંતુ સોમનાથ પહોંચે તે પહેલાં જ કાળે લોહિયાળ ખેલ ખેલ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વધુ એક મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે.

માતા-પિતા અને પુત્રી સહિત 6નાં મોતથી પરિવાર સાફ

આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં વિરમગામના આ કમનસીબ પરિવારના માતા-પિતા અને તેમની વ્હાલસોયી પુત્રી સહિત કુલ 6 સભ્યોના કરુણ મોત થતાં આખો પરિવાર સાફ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને વિરમગામ સ્થિત તેમના સંબંધીઓને આ અંગે જાણ કરી છે. એક જ પરિવારના 6-6 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને માતમ છવાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો