હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતા પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિ આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. ડાકોર આજે 'જય રણછોડ, માખણચોર'ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. કાળઝાળ ગરમી પર ભક્તોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ ભારે પડતો જોવા મળી રહ્યો છે.
43 ડિગ્રી ગરમી વચ્ચે પણ આસ્થા અડીખમ, 2 કિમી લાંબી લાઈનો
હાલ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને ડાકોરમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે, આ ભીષણ ગરમી પણ ભક્તોની અડગ આસ્થાને ડગાવી શકી નથી. કાળિયા ઠાકોરની એક ઝલક મેળવવા માટે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ભાવિકો ડાકોર પહોંચી ચૂક્યા છે. મંદિર પરિસરની બહાર બે કિલોમીટર લાંબી દર્શનની લાઈનો જોવા મળી રહી છે, છતાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી.













