ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.
સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ
આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં મહી સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા અંગે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્ર અને અધિકારીઓને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી.વારંવાર રજૂઆતો અને ચેતવણીઓ આપવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા બ્રિજના સમારકામ કે નવતર નિર્માણ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે લાંબા સમયથી હજારો ગ્રામજનો અને વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ તોળાતું રહ્યું હતું.
