ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.

સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ

આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં મહી સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા અંગે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્ર અને અધિકારીઓને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી.વારંવાર રજૂઆતો અને ચેતવણીઓ આપવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા બ્રિજના સમારકામ કે નવતર નિર્માણ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે લાંબા સમયથી હજારો ગ્રામજનો અને વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ તોળાતું રહ્યું હતું.

અનેક રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી નહીં

બ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં જ ક્ષેત્રના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત સભ્ય નાગપાલ ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. બ્રિજ તૂટી જતાં આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દુર્ઘટના બાદ મહી સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એક વર્ષ અગાઉ જ જર્જરિત બ્રિજ અંગે સ્પષ્ટ જાણ કરી દેવાઈ હતી, તો તંત્રએ સમયસર કોઈ પગલાં કેમ ન લીધાં? શું તંત્ર કોઈ મોટી હોનારત અને જાનહાનિની રાહ જોઈ રહ્યું હતું? 


આ પણ વાંચોઃ