ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.પાદરાના ગંભીરા બ્રિજ બાદ આ બિર્જ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયાં છે. 

પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલાયો

ઠાસરાના ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરિસ્થિતિની સમીક્ષા કરી મીડિયાને પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, માટીનું ધોવાણ થવાના કારણે આ બ્રિજ બેસી ગયો છે.આ ધરાશાયી થયેલા બ્રિજનું નવનિર્માણ કરવા માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અગાઉ જાન્યુઆરી મહિનામાં જ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી.સમગ્ર ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલી દેવાયો છે.

બ્રિજ તૂટી પડતાં હાલ પૂરતો સીધો સંપર્ક કપાયો

ડેપ્યુટી કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે,આ બ્રિજ કયા વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે તે સ્પષ્ટ કરવા માટે R&B અને સિંચાઈ વિભાગ સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવશે.ઉપરાંત, ગ્રામજનો દ્વારા અગાઉ કયા ચોક્કસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરવામાં આવી હતી તેની પણ ચકાસણી કરાશે.ચિતલાવ અને સરદારપુરાને જોડતો આ બ્રિજ તૂટી પડતાં હાલ પૂરતો સીધો સંપર્ક કપાયો છે,જેના કારણે સ્થાનિક ગ્રામજનોને હવે અવરજવર માટે અંદાજે 2.8 કિલોમીટર જેટલો લાંબો ફેરાવો ફરીને જવું પડશે.

આ પણ વાંચોઃ PM Modi Video: પહેલા ગાયને ચારો પછી મોરને દાણા... પીએમ મોદીએ લાલ કિલ્લા પર જતા પહેલાનો Video કર્યો શેર