ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા રાજપરા ગામે એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપરા ગામના ખેડૂત ભૂપતભાઈ હીરાભાઈ વાઢેળના શેરડીના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ખેતરમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
શેરડીનો સંપૂર્ણ પાક બળીને થયો રાખ
આ ભયાનક આગની લપેટમાં આવી જવાથી ખેડૂતનો આશરે ત્રણથી ચાર વીઘામાં પથરાયેલો શેરડીનો સંપૂર્ણ પાક બળીને રાખ થઈ ગયો છે. લણણીના આરે આવેલા તૈયાર પાકને ભારે નુકસાન પહોંચતા પીડિત ખેડૂત ભૂપતભાઈ વાઢેળને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી ખેડૂત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
