કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાંથી અચાનક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. કેનાલમાં અનિયમિત પાણી આવવાના કારણે સિંચાઈ પર નિર્ભર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને લઈને માંડવી તાલુકાના 6 જેટલા ગામોના અંદાજે 400થી વધુ ખેડૂતો 320 કેનાલ ગેટ ખાતે એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અચાનક પાણી બંધ થતાં ખેડૂતોની મોટરો બળી
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલમાં આગોતરી જાણ કર્યા વિના જ અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. સિંચાઈ માટે ચાલુ રખાયેલી મોટરો અચાનક પાણી સુકાઈ જતાં બળી ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 25થી 30 ખેડૂતોની મોટરો બળી જતાં તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ અસર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.
