સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર આજે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લખતરનું ઐતિહાસિક મોતીસર તળાવ ઓવરફ્લો થઈ જતાં તળાવના પાણી ક્રોસ કરીને સીધા લખતર-વિરમગામ હાઈવે પર ફરી વળ્યા હતા. માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ શરૂ થઈ જતાં હાઈવે પર જાણે કોઈ નદી વહેતી હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર પૂર જેવા પાણી ભરાઈ જવાથી સમગ્ર વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી.

નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યા પૂરના પાણી

મોતીસર તળાવનું પાણી ઓવરફ્લો થઈને લખતર બસ સ્ટેન્ડ નજીક હાઈવે પર ફરી વળતાં વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવા છતાં અનેક વાહનચાલકો પોતાના વાહનો જીવના જોખમે પાણીમાંથી પસાર કરવા મજબૂર બન્યા હતા. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં એસ.ટી. બસ સેવાઓ તેમજ ખાનગી વાહનોની અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ હતી, જેના કારણે મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.

મુસાફરો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા

તળાવ ઓવરફ્લો થવાના કારણે માત્ર હાઈવે જ નહીં, પરંતુ આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા મફતીયાપરા દલિતવાસમાં પૂરના પાણી ઘરોની અંદર ઘૂસી જતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી અને અનાજ પલળીને બગડી જતાં ભારે નુકસાન થયું છે. સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પાણી નિકાલની માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો