મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા વરધરા ગામે એક ડરાવનારી ઘટના સામે આવી છે. ગામના 55 વર્ષીય આધેડ મનુભાઈ રામાભાઈ પટેલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં જમીન પર પડી જવાથી ઈજાઓ થઈ હોવાનું કે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. મનુભાઈનો મૃતદેહ મળતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે તુરંત જ વીરપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પીએમ અને એફએસએલ તપાસમાં હત્યાનો પર્દાફાશ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વીરપુર પોલીસ કુરતથી ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના શરીર પર ઈજા અને વાગેલાના નિશાનો મળી આવતાં પોલીસે ફોરેન્સિક (FSL) ટીમને પણ તપાસ માટે સ્થળ પર બોલાવી હતી. મનુભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટ અને ફોરેન્સિક અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા કે સાધારણ અકસ્માત નહીં પરંતુ બોલચાલ કે ઝઘડા બાદ કરાયેલી હત્યા હોવાનું અનુમાન સ્પષ્ટ થઈ ગયું હતું.

ગામના જ યુવકના મારથી મોત થયાનું સામે આવ્યું, તપાસ તેજ

પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં વિગત બહાર આવી હતી કે મનુભાઈને ગામના જ એક યુવક સાથે કોઈ બાબતે બગડતાં તે યુવકે તેમને ગંભીર માર માર્યો હતો. આ મારના કારણે જ તેમનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વીરપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને ગુનેગારને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી વરધરા ગામ અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો