હવામાન વિભાગની અગમચેતી આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક રીતે વરસાદી માહોલ જામ્યો હતો. ખેતીલાયક ઉત્તમ વરસાદ વરસવાના કારણે સમગ્ર પંથકના જગતના તાત એવા ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પાણીના અભાવે સુકાઈ રહેલા અને બળતા ઊભા પાકને આ વરસાદથી સંજીવની સમાન નવજીવન મળ્યું છે, જેનાથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.
અરવલ્લીની ગિરીમાળાઓ ખીલી અને વાતાવરણમાં ઠંડક
ખેડબ્રહ્મા પંથકમાં અનરાધાર વરસેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં એકદમ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ભારે બફારા અને ગરમીથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદી છાંટા અને વાદળછાયા હવામાનના કારણે આસપાસ આવેલી અરવલ્લીની નયનરમ્ય ગિરીમાળાઓનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. લીલોતરી આછી આચ્છાદિત પહાડીઓ અને વરસાદી વાતાવરણના કારણે સમગ્ર વિસ્તારમાં કુદરતી સૌંદર્યનો અદભુત નજારો સર્જાયો હતો, જેને જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
