મહેસાણાના પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર આશરે રૂ.45 કરોડના ભારી ખર્ચે બનાવવામાં આવેલો ઓવરબ્રિજ માત્ર 3 જ વર્ષમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. સતત ત્રીજા વર્ષે ચોમાસાના વરસાદને કારણે બ્રિજના મધ્યભાગમાંથી કોંક્રિટનું અસ્તર સંપૂર્ણપણે ઉખડી ગયું છે. પ્રથમ ચોમાસાથી જ આ બ્રિજમાં ખામીઓ સામે આવવા લાગી હતી, જેના કારણે કરોડના ખર્ચે બનેલા આ સરકારી પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તા સામે ભારે લોકરોષ અને ગંભીર સવાલો ઊભા થયા છે.
બહાર આવેલા લોખંડના સળિયા બન્યા જીવલેણ
કોંક્રિટ ઉખડી જવાના કારણે બ્રિજ પરથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ ખુલ્લા સળિયાના કારણે અહીંથી પૂરઝડપે પસાર થતાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનોના ટાયર ફાટી જવા તેમજ વાહનચાલકો સ્લિપ થઈ જવાના અનેક બનાવોનું જોખમ વધી ગયું છે. બ્રિજ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થતાં હોય છે, ત્યારે આ ખુલ્લા લોખંડના સળિયા વાહનચાલકો માટે કોઈ મોટા જીવલેણ અકસ્માતનું કારણ બને તેવી પૂરી ભીતિ સેવાઈ રહી છે.
