મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કડી તાલુકાના નરસિંહપુરા ગામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો જળબંબાકાર થઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન થવાની અને પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી ખેડૂતોએ જાતે પાળ તોડી

વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં ન આવતાં આખરે ખેડૂતોની ધીરજ ખૂટી હતી. ત્યારબાદ કંટાળેલા ખેડૂતોએ પોતે આગળ આવીને માયનોર કેનાલની પાળ જાતે તોડી નાખી હતી. કેનાલની પાળ તોડીને ખેતરોમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો આત્યંતિક પ્રયાસ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી કરી પોતાના પાકને બચાવી શકાય.

તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ

નરસિંહપુરા ગામના ખેડૂતોની આવી કમાલ અને હાલાકી વચ્ચે સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ચોમાસા પૂર્વે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવા બદલ તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેતરોમાંથી પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરે અને નુકસાન પામેલા પાક માટે યોગ્ય વળતર પૂરું પાડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો