મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કડી તાલુકાના નરસિંહપુરા ગામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો જળબંબાકાર થઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન થવાની અને પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી ખેડૂતોએ જાતે પાળ તોડી
વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં ન આવતાં આખરે ખેડૂતોની ધીરજ ખૂટી હતી. ત્યારબાદ કંટાળેલા ખેડૂતોએ પોતે આગળ આવીને માયનોર કેનાલની પાળ જાતે તોડી નાખી હતી. કેનાલની પાળ તોડીને ખેતરોમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો આત્યંતિક પ્રયાસ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી કરી પોતાના પાકને બચાવી શકાય.
