ગુજરાતના જાણીતા વેપારી મથક ઊંઝા અને ઉનાવા ખાતેથી ભેળસેળખોરો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાની કડક સૂચના અને આદેશ બાદ સક્રિય થયેલા તંત્રએ અહીં વરિયાળીમાં કેમિકલ કલરની ભેળસેળ કરતા વ્યાપારીઓ પર ત્રાટકીને અંદાજે રૂપિયા 19.6 લાખની કિંમતનો કુલ 26 ટન જેટલો મસમોટો ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો ઘટનાસ્થળે જ જપ્ત કરી લીધો છે.

અલગ-અલગ ગોડાઉન પર આકસ્મિક દરોડા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઊંઝા-ઉનાવા રોડ પર આવેલા બે અલગ-અલગ ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ભાર્ગવ પટેલનું ગોડાઉન તેમજ રાકેશ પટેલની વ્યાપારી પેઢી પરથી કેમિકલયુક્ત ભેળસેળવાળો આ શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ વેપારીઓ સામાન્ય વરિયાળીને બજારમાં વધુ પ્રીમિયમ અને લીલીછમ દર્શાવવા માટે તેના પર ઝેરી કેમિકલયુક્ત અખાદ્ય કલરનું પ્રોસેસિંગ કરતા હતા.

કેમિકલયુક્ત વરિયાળીના નમૂના તપાસ અર્થે મોકલાયા

અધિકારીઓએ બંને ગોડાઉનને સીલ કરીને સ્થળ પરથી કેમિકલયુક્ત વરિયાળીના અધિકૃત નમૂના (સેમ્પલ) મેળવ્યા છે અને તેને તાત્કાલિક અસરથી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આ બંને બેજવાબદાર વેપારીઓ સામે કાયદાકીય રીતે કડક ફોજદારી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો