મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક સુદાસણા સ્ટેટમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુદાસણા સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજીનું 79 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. આ દુઃખદ અવસાનના સમાચારથી માત્ર સુદાસણા જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં અને રાજવી પરિવારોમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી મુજબ, મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજી છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ જીવદયા પ્રેમી હતા અને સુદાસણા સ્ટેટના જીવદયા આશ્રમ ખાતે જ રહેતા હતા.

દરબારગઢથી નીકળશે અંતિમયાત્રા

મહારાણા ઠાકોર સાહેબની અંતિમયાત્રા 4 જુલાઈના રોજ સુદાસણા સ્થિત ઐતિહાસિક દરબારગઢ ખાતેથી નીકળશે. સુદાસણા સ્ટેટ અંતર્ગત આવતા આસપાસના તમામ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમના અંતિમ દર્શન માટે અને અંતિમયાત્રામાં જોડાવા માટે ઉમટે તેવી શક્યતા છે.

મુક્તેશ્વર ખાતે અગ્નિસંસ્કાર

પરંપરાગત રાજવી ઠાઠ અને રીત-રિવાજો સાથે દરબારગઢથી નીકળનારી આ અંતિમયાત્રા બાદ, તેમના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર પવિત્ર યાત્રાધામ મુક્તેશ્વર ખાતે કરવામાં આવશે. પંથકના લોકોએ એક પરોપકારી અને જીવદયા પ્રેમી રાજવી ગુમાવ્યાનું ભારે દુઃખ વ્યક્ત કર્યું છે.


આ પણ વાંચો - વાંચો 5 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે