ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી GMERS મેડિકલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો એક કેસ નોંધાયા છે. આ આંકડો સામે આવતા જ સ્થાનિક તંત્ર અને લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

1 કેસ પોઝિટિવ અને 2 દર્દીઓ શંકાસ્પદ

હોસ્પિટલમાંથી મળતી વિગતો અનુસાર, નોંધાયેલા કુલ 3 કેસમાંથી 1 દર્દીનો લેબોરેટરી રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય 2 દર્દીઓના કેસ હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. આ બંને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ વધુ સચોટ તપાસ અને કન્ફર્મેશન માટે હાઈટેક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ પોઝિટિવ આવેલા દર્દીની વડનગર હોસ્પિટલમાં જ સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

દર્દીઓમાં 2 પુરુષ અને 1 મહિલા સામેલ

આ વાયરસની ઝપેટમાં આવેલા દર્દીઓની વિગતવાર વાત કરીએ તો, તેમાં 2 પુરુષ અને 1 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. આ દર્દીઓ અલગ-અલગ વિસ્તારના છે, જેમાં વિસનગર તાલુકાનો 1 દર્દી અને પાડોશી જિલ્લા એવા સાબરકાંઠાના 2 દર્દીઓ સામેલ છે. આ તમામ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખીને તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.

બાળરોગ નિષ્ણાતની લોકોને ખાસ અપીલ

આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વડનગર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને બાળરોગ નિષ્ણાત દ્વારા સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હોસ્પિટલના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. રતના ભોજકે આ ઘાતક વાયરસના લક્ષણો અને તેનાથી બચવા માટે રાખવી પડતી સાવચેતીઓ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા છે.

તાવ અને ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત હોસ્પિટલ પહોંચો

નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ ખાસ કરીને બાળકો માટે વધુ જોખમી સાબિત થતો હોય છે. જો બાળકોમાં અચાનક તીવ્ર તાવ આવવો, સતત ઉલટી થવી, શરીરમાં આંચકી આવવી કે બાળક બેભાન થઈ જવા જેવા ગંભીર લક્ષણો દેખાય, તો વાલીઓએ સહેજ પણ વિલંબ કરવો જોઈએ નહીં. આવા કોઈ પણ લક્ષણ જણાતા જ કોઈપણ પ્રકારની ઘરગથ્થુ સારવાર કર્યા વિના તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પહોંચીને તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો - Mehsana: કડીનો પોલીસ કોન્સ્ટેબલ અમીન શેખ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો