અમરેલી જિલ્લામાં ગઈકાલે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં ચોમાસાની સીઝનનો સૌથી ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. રાજુલા અને ધારી પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા અનુક્રમે 12 અને 11 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ખાંભામાં પણ 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે સાવરકુંડલા અને અમરેલીને જોડતો નેશનલ હાઈવે ગંભીર રીતે તૂટી ગયો છે. હાઈવે પર મોટા-મોટા ગાબડા પડી જતાં અને રોડનો કેટલોક હિસ્સો ધોવાઈ જતાં તંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

જિલ્લાના જળાશયો છલકાયા, નદીઓ બે કાંઠે

આ ભારે વરસાદને પગલે જિલ્લાના ચાર મુખ્ય જળાશયો- ખોડીયાર ડેમ, સેલ ડેડુમલ ડેમ, રાયડી ડેમ અને ધાતરવડી ડેમ એકસાથે ઓવરફ્લો થયા છે. પાણીની વિપુલ આવકને કારણે આ તમામ ડેમના દરવાજા ખોલીને પાણી નદીઓમાં છોડવામાં આવ્યું હતું. પરિણામે જિલ્લાની મુખ્ય નદી એવી શેત્રુંજી સહિત સેલ, ધાતરવડી અને નાવલી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીઓના પાણી ઘૂસી જતાં અને કોઝવે ધોવાઈ જતાં જિલ્લાના 21 જેટલા ગ્રામીણ રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના કારણે અંતરિયાળ વિસ્તારના 10 ગામોનો સંપર્ક મુખ્ય મથક સાથે તૂટી ગયો હતો.

આજે સવારથી તંત્ર એક્શન મોડમાં

આજે સવારથી મેઘરાજાએ વિરામ લેતાં વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગ (R&B) તેમજ સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપનની ટીમો કામે લાગી ગઈ છે. જે ગામો સંપર્ક વિહોણા થયા હતા ત્યાં કાટમાળ હટાવવા અને રસ્તાઓનું પ્રાથમિક સમારકામ કરવા જેસીબી (JCB) અને મજૂરોની મદદ લેવાઈ રહી છે. સાવરકુંડલા-અમરેલી નેશનલ હાઈવે પર પડેલા ગાબડા પૂરવા માટે કપચી અને પથ્થરો નાખીને ડાયવર્ઝન તૈયાર કરવાની કામગીરી તેજ કરાઈ છે, જેથી બંધ પડેલો વાહનવ્યવહાર ટૂંક સમયમાં ફરી ચાલુ કરી શકાય. લોકલ પ્રશાસને લોકોને હજુ પણ તૂટેલા રસ્તાઓ પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Narmada: નર્મદા ડેમમાં 50,616 ક્યુસેક પાણીની ધિંગી આવક, જળ સપાટી વધીને 126.43 મીટરે પહોંચી