અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં ચોમાસાની જમાવટ વચ્ચે જળાશયોમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. ખાંભા તાલુકાની જીવાદોરી સમાન રાયડી ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની પ્રચંડ આવકને પગલે ડેમ તેની મહત્તમ સપાટી વટાવી ચૂક્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સિંચાઈ વિભાગના એન્જિનિયરોની હાજરીમાં રાયડી ડેમના ફરી એકવાર 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેમાંથી લાખો ક્યુસેક પાણીનો જથ્થો રાયડી નદીના પટમાં છોડાઈ રહ્યો છે.
નદી બે કાંઠે, કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા
ડેમના ૮ દરવાજા ખોલવાને કારણે રાયડી નદીમાં પૂરના પાણીનો પ્રવાહ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. જેને પગલે રાયડી ડેમની નીચેના નીચાણવાળા ભાગમાં આવેલા નાના બારમણ, મોટા બારમણ તેમજ ચોતરા ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આગળના વહેણમાં આવતા મીઠાપુર અને નાગેશ્રી સહિતના ગામોમાં પણ પૂરના પાણી ઘૂસે નહિ તે માટે તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે. ગ્રામ પંચાયતોના સરપંચ અને તલાટીઓને ગામમાં જ હાજર રહી લાઈવ અપડેટ આપવા સૂચના અપાઈ છે.
