મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હળવદ પંથકની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ-2માં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ડેમમાં 6,000 ક્યુસેક પાણીની સતત આવક થતાં જળસપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 3 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી બ્રાહ્મણી નદીમાં 6,000 ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીપટમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.
પૂરની સ્થિતિને પગલે 11 ગામોને સાવચેત કરાયા
ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં જ બ્રાહ્મણી નદીના હેઠવાસમાં આવેલા 11 ગામો માટે પૂરનું સંકટ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, રાયસંગપર, અજીતગઢ, માનગઢ અને ટીકર સહિતના તમામ 11 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગામોમાં સરેરાશ લાઉડસ્પીકર અને ગ્રામ પંચાયતો મારફતે લોકોને સાવચેત રહેવા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
