મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હળવદ પંથકની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ-2માં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ડેમમાં 6,000 ક્યુસેક પાણીની સતત આવક થતાં જળસપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 3 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી બ્રાહ્મણી નદીમાં 6,000 ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીપટમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.

પૂરની સ્થિતિને પગલે 11 ગામોને સાવચેત કરાયા

ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં જ બ્રાહ્મણી નદીના હેઠવાસમાં આવેલા 11 ગામો માટે પૂરનું સંકટ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, રાયસંગપર, અજીતગઢ, માનગઢ અને ટીકર સહિતના તમામ 11 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગામોમાં સરેરાશ લાઉડસ્પીકર અને ગ્રામ પંચાયતો મારફતે લોકોને સાવચેત રહેવા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

નદીપટમાં ન જવા તંત્રની કડક સૂચના

નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી અને જોખમી હોવાથી તંત્ર દ્વારા નદીપટ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. માલ-ઢોરને પણ નદી કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ગ્રામજનોને જણાવાયું છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર ટીમ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જરૂર પડ્યે સ્થળાંતર માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો