મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન અને વીજપોલના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. યોગ્ય ન્યાય ન મળતાં હળવદના જૂના દેવળીયા અને નવા દેવળીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામજનોએ ઢોલ વગાડીને બેનરો સાથે વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશે ભરાયેલા ગ્રામજનોએ ગામના પાટીયે "2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી" ના બેનરો લગાવી દીધા છે.

જેતપર આંદોલનને રાજ્યભરના ખેડૂતોનું સમર્થન

હળવદ પંથકના જેતપર ગામે શરૂ થયેલા આ ખેડૂત આંદોલનની જ્વાળા હવે સમગ્ર મોરબી જિલ્લા અને રાજ્યભરમાં પ્રસરી ગઈ છે. મોરબી જિલ્લાના 40થી વધુ ગામોમાં ભાજપ વિરોધી બેનરો લાગી ચૂક્યા છે અને રાજ્યભરના ખેડૂત સંગઠનો આ આંદોલનના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીઓ અને સરકાર કિંમતી જમીનોમાં મોટા પોલ ઊભા કરી દે છે પણ જમીન ધોવાણ તથા પાક નુકસાનીનું વાજબી વળતર આપતી નથી.

વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોએ ઢોલ વગાડી રેલી યોજાઈ

ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી વીજપોલ વળતરનો મુદ્દો કાયમી ધોરણે ઉકેલવામાં નહીં આવે, ત્યાં સુધી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ નેતા કે ઉમેદવારને ગામમાં પ્રચાર અર્થે પ્રવેશવા દેવામાં આવશે નહીં. ગામડે-ગામડે વિરોધના બેનરો અને ઢોલના ધમધમાટ સાથે યોજાતી રેલીઓએ શાસક પક્ષ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. ખેડૂત એકતાના આ આક્રમક વલણથી સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો