મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. માથક ગામની સીમમાં આવેલી માધવ ગોકળભાઈની વાડીમાં ખેતમજૂરી કરતાં શ્રમિક પરિવાર પર અચાનક આકાશી આફત ત્રાટકી હતી. સાંજના સમયે કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદી ઝાપટાં દરમિયાન ખેતરમાં મગફળીના પાકને પિયત કરી રહેલા માતા અને માસૂમ પુત્ર પર અચાનક વીજળી પડી હતી. વીજળીના જોરદાર આંચકાને કારણે બંનેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતકોની ઓળખ અને સારોદ ગામના પરિવારમાં અરેરાટી

આ કરુણ દુર્ઘટનામાં માધવભાઈની વાડીમાં મજૂરી કામ કરતા 28 વર્ષીય મનકુબેન રાકેશભાઈ નાયકા અને તેમના 4 વર્ષના માસૂમ પુત્ર શ્યામ રાકેશભાઈ નાયકાનું અકાળે અવસાન થયું છે. એકસાથે માતા અને બાળકના આકસ્મિક અવસાનથી શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બનાવને પગલે માથક ગામ અને આસપાસના ખેતમજૂર આલમમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા, હળવદ પોલીસ દ્વારા તપાસ

ઘટના અંગે હળવદ પોલીસ મથકને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા માટે ચરાડવા હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હળવદ પોલીસે આકસ્મિક મોત અંગે ગુનો નોંધી આગળની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો