મોરબીના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસર મંદિરમાં ગત રોજ ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ચોરી ગત કાલે દિવસ દરમિયાન જ આચરવામાં આવી હતી, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અજાણ્યા તસ્કરે જૈન દેરાસરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલો સોના-ચાંદીનો ચેઈન ચોરી લીધો હતો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. 

રામજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ 

જૈન દેરાસરમાં ચોરી કર્યા બાદ આ તસ્કરે બાજુમાં જ આવેલ રામજી મંદિરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે દરમિયાન મંદિરના પૂજારી અચાનક આવી પહોંચતા તસ્કરનો મનસુબો નિષ્ફળ રહ્યો હતો. પૂજારીને જોઈને ચાલાક તસ્કર મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો ઢોંગ કરીને ત્યાંથી ચુપચાપ ફરાર થઈ ગયો હતો. 

મંદિરોને લક્ષ્ય બનાવતી ગેંગ સક્રિય હોવાની આશંકા 

ખાખરેચી અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો અગાઉ જ ગામમાં આવેલ અંબાજી મંદિરમાંથી પણ દાનપેટીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. એકપછી એક મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતા પોલીસે વાયરલ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો