નર્મદા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ-મકાન માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે વરસેલા મુસળધાર વરસાદમાં પૂરનું ભરપૂર પાણી આવી જતાં ઝરીયા-તણખલા રોડ પર આવેલું ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વરસાદી પાણીના પ્રવાહને કારણે આ રોડની વચ્ચેનો આખો ભાગ તૂટીને અલગ થઈ ગયો છે. જેનાથી રસ્તા પર ભયાનક એક મોટો ખાડો પડી ગયો છે.

રેલિંગો પણ ઉખડી ગઈ, વાહનચાલકો-ગામલોકો મુશ્કેલીમાં

પાણીના ધસમસતા પ્રવાહના કારણે ડાયવર્ઝનની બાજુમાં લગાવેલી સેફ્ટી રેલિંગો પણ મુળમાંથી ઉખડીને વહી ગઈ છે. રસ્તો વચ્ચેથી ધસી જતાં અને મોટો ખાડો પડી જતાં કેવડિયાથી તણખલા તરફ જતાં તેમજ આસપાસના ગામલોકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. વાહનવ્યવહાર ઠપ થઈ જતાં નોકરિયાતો, ખેડૂતો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ, સમારકામ હાથ ધરાશે

ડાયવર્ઝન ધોવાઈ જવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ પર સુરક્ષા કોર્ડન કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય. માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પાણી ઓસરતાં જ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો