નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નવસારી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે જિલ્લામાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા ચીખલી અને ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે બીલીમોરા શહેર તેમજ પૂરના પાણીથી પ્રભાવિત અંબિકા નદીની વર્તમાન સ્થિતિ અને જળસ્તરની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

પૂર પ્રભાવિત લોકો સાથે સીધો સંવાદ, વેદના સાંભળી

પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પૂરથી અસરગ્રસ્ત થયેલા સ્થાનિક નાગરિકો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે પાણી ભરાવાથી લોકોને પડેલી મુશ્કેલીઓ અને નુકસાની અંગે વિગતો મેળવીને તેમની વેદના સાંભળી હતી. તેમણે અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી અને સરકાર તથા સંગઠન તરફથી તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની આ સમીક્ષા મુલાકાત દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને પ્રદેશ અધ્યક્ષે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. સ્થાનિક તંત્રને પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ, આરોગ્ય વિષયક કામગીરી અને કેશડોલ્સ સહિતની સહાય વહેલી તકે પૂરી પાડવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો