નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા અંબાચ ગામેથી એક અત્યંત કંપારી છૂટી જાય તેવી ઘાતકી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પિતાએ જ કૌટુંબિક ઝઘડા અને આવેશમાં આવીને પોતાના યુવાન પુત્ર પર ચપ્પુ વડે પ્રાણઘાતક હુમલો કરી તેની નૃશંસ હત્યા કરી નાખી છે. માનસિક તણાવમાં રહેતા પિતાએ ઘરમાં અચાનક બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈ જઈને પુત્રને ચપ્પુના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે યુવાન પુત્રનું લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પૂર્વ પત્ની અને પોતાના પિતાને પણ કર્યા ઈજાગ્રસ્ત

પ્રાથમિક વિગતો મુજબ, હત્યારો પિતા અગાઉ પરિવારથી અલગ રહેતો હતો અને માત્ર એક મહિના અગાઉ જ પોતાની પૂર્વ પત્ની તથા પુત્ર સાથે ફરીથી રહેવા માટે આવ્યો હતો. ઘટના સમયે બચાવવા વચ્ચે પડેલા પરિવારના અન્ય સભ્યો પર પણ હત્યારાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં તેની પૂર્વ પત્ની તેમજ હત્યારાના પોતાના પિતા (મૃતકના દાદા) પણ ચપ્પુના ઘા વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે હત્યારા પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

એક જ પરિવારમાં પિતા દ્વારા જ પુત્રની હત્યા અને અન્ય બે સભ્યોને ઈજાગ્રસ્ત કરવાની આ સનસનાટીભરી ઘટનાના પગલે સમગ્ર અંબાચ ગામમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને કબ્જે કરી પંચનામું હાથ ધર્યું હતું. ગુનો આચરીને ફરાર થઈ ગયેલા હત્યારા પિતાને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને આગળની સઘન કાયદાકીય તપાસ અને શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો