નવસારી જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી શહેર માથે ફરી એકવાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. અનરાધાર વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ જતાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
પાણી ભરાતાં 2 હજાર લોકોનું સ્થળાંતર
શહેરના શાંતાદેવી રોડ અને તાંસકર નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સતત વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે 2000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
