પાટણ જિલ્લાના રાધનપુર નજીક કચ્છ-કંડલા નેશનલ હાઈવે પર એક અત્યંત કાળજું કંપાવનારી માર્ગ દુર્ઘટના સામે આવી છે. હાઈવે પર ઉભેલી એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક હોનારતમાં કારમાં સવાર 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ખાટુશ્યામજી દર્શન કરીને પરત ફરતી વખતે નડ્યો કાળ
મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો રાજસ્થાન સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ખાટુશ્યામજીના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર નજીક નેશનલ હાઈવે પર આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક જ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. એક જ ગામના શ્રદ્ધાળુઓ સાથે આ હોનારત સર્જાતાં અંજાર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.


