પાટણ જિલ્લાના સમી તાલુકા હેઠળ આવેલા રાણાવાડા ગામમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. રાણાવાડા ગામમાં રહેતા વાલ્મીકિ પરિવારમાં માત્ર 3 વીઘા જમીન વેચવા બાબતે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન પરિવારના નિકુલભાઈ પેથાભાઈ વાલ્મીકિએ જમીન વેચવા માટેના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
સમીમાં 3 વીઘા જમીન માટે લોહિયાળ ખેલ
સહી કરવાની ના પાડતાં જ કૌટુંબિક સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ગેમરભાઈ પૂંજાભાઈ, મૃતકના કાકા મનુભાઈ પૂંજાભાઈ અને કૌટુંબિક ભાઈ અશોકભાઈ સોમાભાઈએ આવેશમાં આવીને નિકુલભાઈ પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચતાં નિકુલભાઈ વાલ્મીકિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નિકુલ પર થઈ રહેલા લોહિયાળ હુમલાને જોઈ તેને બચાવવા માટે તેની માતા અને બહેન વચ્ચે પડ્યાં હતાં. પરંતુ જમીનના મોહમાં અંધ બનેલા આરોપીઓએ તેમને પણ ન છોડતાં ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો.
