પાટડી તાલુકામાં આવેલા દેગામ ખાતે શ્રમિક સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા આવેલી છે. આ નિવાસી શાળામાં મુખ્યત્વે સમાજના અનાધાર, શ્રમિક અને મધ્યમ વર્ગના આશરે 150 જેટલા ગરીબ બાળકો અભ્યાસ કરે છે. બાળકો માટે રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધાઓ આ જ એક જ બિલ્ડિંગ સંકુલમાં આવેલી છે.
બિલ્ડિંગની ચારેય બાજુ ગોઠણસમા પાણી
હાલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શાળાના મુખ્ય ગ્રાઉન્ડ અને બિલ્ડિંગની ચારેય બાજુ ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ જ પરિસરમાં વિદ્યાર્થીઓ રહેતા પણ હોવાથી, તેમને ભોજન ખંડ કે રૂમની બહાર નીકળવું અત્યંત જોખમી બન્યું છે. પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં આ માસુમ બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.
પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા
શાળાના આચાર્ય અને શ્રમિક સેવા ટ્રસ્ટના સંચાલકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસામાં શાળા કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા સર્જાય છે. આ અંગે તેમણે પાટડી તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરી છે. છતાં પણ આજદિન સુધી આ ભરાયેલા પાણીના નિકાલ માટે કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી.
શાળા પરિવાર અને ગ્રામજનોની કડક માગ
શ્રમિક સેવા ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં ભણતાં શ્રમિક પરિવારના બાળકોના આરોગ્ય અને ભવિષ્યને ધ્યાને રાખીને, તંત્ર દ્વારા તાત્કાલિક પંપ મૂકી પાણી ઉલેચવામાં આવે તેમજ ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટે ગટર/નાળા મારફતે વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચો: Morbi: જુના માલણીયાદ પાસે ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ, મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકો ત્રસ્ત