સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં બદલાયેલા હવામાન અને દરિયામાં સર્જાયેલી ઉથલપાથલના પગલે પોરબંદર બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ (Local Cautionary Signal No. 3) લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદરમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ ઝડપી થતાં દરિયામાં ઉંચા-ઉંચા રાક્ષસી મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે બંદર અને આસપાસનો કાંઠાળ વિસ્તાર જોખમી બન્યો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયામાં સર્જાયેલા ભારે કરંટ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને બંદર તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. જે માછીમારો દરિયામાં છે તેમને તાત્કાલિક સુરક્ષિત બંદરે પરત ફરી જવા જણાવવામાં આવ્યું છે. હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી માછીમારોને પોતાની ફિશિંગ બોટો કિનારે જ લાંગરી રાખવા અને તમામ જરૂરી સાવચેતી વર્તવા માછીમાર બોટ એસોસિએશન તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે.
