સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર નજીક વહેતી સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા મહેસાણા જિલ્લાના બે આશાસ્પદ યુવાનોના નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જ બનેલી આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દશામા વ્રતના વિસર્જન પ્રસંગે મહેસાણાથી આવેલા ચાર યુવકો મૂર્તિ પધરાવ્યા બાદ નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન પાણીના ઝડપી અને ઊંડા પ્રવાહનો ખ્યાલ ન રહેતાં બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ફાયર બ્રિગેડની ટીમે યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ નદી કિનારે ઉમટી પડ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં ઇડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર ફાઇટરની ટીમો બચાવ સામગ્રી સાથે સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સાબરમતી નદીના ઊંડા પાણીમાં સઘન શોધખોળ હાથ ધરીને કલાકોની ભારે જહમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ નવદીપ અશોકભાઈ રાવત (ઉંમર 18, રહે. મોલીપુરા, તા. વડનગર) અને રાજવીર બાલુજી ઠાકોર (ઉંમર 18, રહે. રામપુરા ભંડોડા, તા. જોટાણા) તરીકે થઈ છે.
