સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. લખતરના રહેવાસી કલ્પેશભાઈ મહેરીયાનો અઢી વર્ષનો માસૂમ પુત્ર આયાશ તેના દાદા બળદેવભાઈ સાથે સાંજના સમયે બાપુરાજની ડેરી પાસે આવ્યો હતો. આ દરમિયાન દાદાની નજર ચૂકવીને માસૂમ બાળક નજીકમાં આવેલા મોતીસર તળાવ પાસે રમવા ચાલ્યો ગયો હતો અને રમતા-રમતા અચાનક પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
પૌત્રને બચાવવા દાદાએ તળાવમાં લગાવી છલાંગ
દાદાની નજર સામે જ તેમનો વ્હાલસોયો પૌત્ર પાણીમાં ડૂબવા લાગતા દાદા બળદેવભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પૌત્રને બચાવવા માટે તળાવના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. તેમણે આયાશને બચાવવા માટે ભારે જહેમત અને ભરપૂર પ્રયાસો કર્યા હતા. આસપાસના અન્ય લોકોની મદદથી બાળકને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી, ગંભીર હાલતમાં સારવાર અર્થે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
