બનાસકાંઠાના થરાદ પાસે આવેલા જમડા પુલ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જમાઈએ અગમ્ય કારણોસર કેનાલમાં કૂદકો માર્યો હતો, જેને બચાવવા માટે તેના સસરા અને બે સાળાઓ પણ કેનાલના પાણીમાં કૂદી પડ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ત્વરિત સમયસૂચકતા વાપરીને જમાઈ અને એક સાળાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા. પરંતુ ઊંડા પાણીના પ્રવાહમાં સસરા અને બીજો સાળો ગરકાવ થઈ ગયા હતા.
8 કલાકની જહેમત બાદ મૃતદેહો મળ્યા
ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા બંને વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મોડી રાત્રે અંધારું વધી જવાના કારણે અને પાણીના તીવ્ર પ્રવાહને લીધે રેસ્ક્યૂ ઓપરેશન રોકવું પડ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારથી ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 8 કલાકની ભારે મથામણ અને જહેમત બાદ સસરા અને સાળાના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
