થરાદમાં પડેલા ભારે અને ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે નગરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા અંદાજે 60 જેટલા લોકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
રણ વિસ્તારમાં પાણી ભરાતા ભારે તારાજી
સુઈગામ રણ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં ભારે તારાજી સર્જાઈ છે. વરસાદી પાણીના ફરી વળવાના કારણે અગરિયાઓની ચાર-પાંચ મહિનાની આકરી મહેનતથી તૈયાર થયેલું મીઠું ધોવાઈ ગયું છે. આ કુદરતી આફતને પગલે સ્થાનિક મીઠા ઉદ્યોગને 20થી 25 ટકા જેટલું મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે રોજીરોટી માટે મીઠાના ઉત્પાદન પર નિર્ભર એવા બે હજારથી પણ વધુ અગરિયા પરિવારો ભારે સંકટમાં મુકાઈ ગયા છે.
