વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે.પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વડોદરાના રહીશ અનિલભાઈ ખેમરાજભાઈ જાબક જ્યારે ભરૂચ તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ નજીક તેમની તબિયત અચાનક લથડી હતી.

પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક ધોરણે રોકાવી દીધી

મુસાફરની છાતીમાં અચાનક ભારે દુખાવો થતાં જ ટ્રેનમાં સવાર અન્ય મુસાફરો અને રેલવે સ્ટાફ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે કન્ટ્રોલ રૂમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વડોદરા કન્ટ્રોલ દ્વારા ત્વરિત સંદેશા વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેના પગલે કરજણ તાલુકાના લાકોદરા ગામે સ્ટેશન માસ્ટરે ઈમરજન્સીના કારણે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક ધોરણે રોકાવી દીધી હતી. ટ્રેન લાકોદરા ગામે ઊભી રહેતાં જ અગાઉથી જાણ કરાયેલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

સારવાર અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે રવાના કર્યા

108ની ટીમે તાત્કાલિક મુસાફર અનિલભાઈ જાબકને ટ્રેનમાંથી બહાર કાઢીને વધુ સારવાર અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા. જોકે, કરજણ સરકારી હોસ્પિટલ ખાતે દર્દીને લાવવામાં આવતાં જ ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને અનિલભાઈને મૃત જાહેર કર્યા હતા. ટ્રેન મુસાફરી દરમિયાન અચાનક હાર્ટ એટેક કે અન્ય શારીરિક તકલીફના કારણે બનેલી આ ઘટનાથી અનિલભાઈના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને તેમના પરિવારમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે. રેલવે પોલીસ દ્વારા આ મામલે જરૂરી કાયદેસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot News: સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેંચ આપવા બાર સાંસદ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રીને પત્ર લખી ભલામણ કરી