વલસાડ શહેરના બંદર રોડ નજીક આવેલી ઔરંગા નદીના કિનારે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. દાણા બજારમાંથી એકત્ર કરાયેલો સડેલો અને દુર્ગંધ મારતો અનાજનો મોટો જથ્થો નગરપાલિકા દ્વારા ઔરંગા નદીની બાજુમાં જ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હતો. નદીના પટ અને કિનારા જેવા સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારે કચરો અને સડેલું અનાજ ઠાલવવામાં આવતાં આસપાસના લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ભાગળખુર્ડ અને બંદર રોડ વિસ્તારમાં રોગચાળાની ભીતિ

ખુલ્લામાં ફેંકવામાં આવેલા આ સડેલા અનાજમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધ અને મચ્છર-ઈયળો જેવા જીવાતોના ઉપદ્રવને કારણે નજીકમાં આવેલા ભાગળખુર્ડ ગામ અને બંદર રોડ વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુમાં આ પ્રકારે સડેલું અનાજ ખુલ્લામાં નાખવાથી વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાની પૂરતી શક્યતા છે, જે લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરે છે.

માજી પ્રમુખ અને તાલુકા સભ્યોએ કામગીરી બંધ કરાવી

આ ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ તાલુકા પંચાયત સભ્ય સ્થાનિક રહીશોને સાથે રાખીને તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે તંત્ર દ્વારા ખુલ્લામાં સડેલું અનાજ ફેંકવાની આ ઘોર બેદરકારી સામે વિરોધ દર્શાવી કામગીરી અટકાવી દીધી હતી. સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી આ અનાજનો જથ્થો ત્વરિત ત્યાંથી હટાવવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો