જિલ્લાના વન વિભાગ દ્વારા મહેસાણા મહાનગરની જનતાને 10 હેક્ટર જમીન ઉપર ઓક્સિજન પાર્કની ભેટ ધરવામાં આવી છે. અમદાવાદ-મહેસાણા બાયપાસ માર્ગ પરના નુગર ગામના સીમાડાને પ્રવાસીઓ માટે પિકનિક સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.


ઓક્સિજન પાર્કમાં 60 હજાર વૃક્ષોનું ગાઢ જંગલ બે હજાર જેટલાં ખુશ્બુ મહેકાવતા રંગબેરંગી ફ્ૂલોના છોડવાં પ્રકૃતિ પ્રેમીઓના હૈયે ટાઢક આપશે. આ ઉપરાંત અહીં બાળકોને મનોરંજન મળી રહે તે માટે ક્રિડાગણ, ટહેલવા માટે પાથ-વે અને એડવેન્ચર માટે વોચ ટાવર ઊભું કરવામાં આવ્યું છે. વન કવચ હેઠળ તૈયાર થઈ રહેલા ઓક્સિજન પાર્કનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું ઘનઘોર વન મહાનગર વાસીઓના હૃદયની ધડકન બની જશે. અહીં બાકી રહેતી ત્રણ હેક્ટર જમીનમાં વિકાસનું આયોજન પણ ઘડાઈ રહ્યું છે.

કુદરતી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે

મહેસાણા જિલ્લાના પ્રથમ ગણાતા ઓક્સિજન પાર્કને બીજા અર્થમાં અર્બન ફેરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વન વિભાગ દ્વારા જમીનના 7 પડમાં સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને કુદરતી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

1.50 કરોડના ખર્ચે ઓકિસજન પાર્ક નિર્માણ કરાયો

મહેસાણા જિલ્લા વન અધિકારી યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, નુગર પાસે પડેલી વન વિભાગની જમીનનો 50 વર્ષ પછી કબજો લેવામાં આવ્યો છે. જેમાં રૂ.1.50ના ખર્ચે અર્બન ફેરેસ્ટ યોજના અંતર્ગત ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર સુશોભન વધારે તેવા વૃક્ષો નહીં પરંતુ લુપ્ત થતા જંગલી જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે કાર્બન ડાયોક્સાઇડને પરે રાખીને વધુ પ્રમાણમાં ઓક્સિજન આપતા હોય છે.


  • Follow us on: