- ઘટનાના સાત દિવસ બાદ રાજયના મંત્રી ભાનુબેન બાબરીયાએ આપી પ્રતિક્રિયા
- બીજે દિવસે મેં સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી : ભાનુ બાબરીયા
- જો મારું નામ સમગ્ર મામલે ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ : ભાનુ બાબરીયા
રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ રાજયના મંત્રી લાંબા સમય બાદ મિડીયા સમક્ષ આવ્યા હતા.તેમણે મિડીયાના માહિતી આપતા કહ્યું કે,સરકારના આદેશ અનુસાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે.રાજયના મંત્રી અને રાજકોટ ભાજપના એક પણ નેતા ભ્રષ્ટાચારી સાગઠીયા મામલે ખુલીને બોલવાનું ટાળી રહ્યા છે.
ભષ્ટ્રાચારી એમડી સાગઠીયાને લઈ બોલવાનું ટાળયું
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો દ્રારા ભાનુ બાબરીયાને સાગઠીયાને લઈ સવાલો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓએ સવાલના જવાબ આપવાનું ટાળ્યું હતુ,પોતાના ઘરની સામે સાગઠીયાનો કરોડો રૂપિયાનો બંગલો બનવા બાબતે પણ બાબરીયાએ ખુલીને બોલવાનું ટાળ્યું હતુ.સાગઠીયા મામલે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભાનુબેન બાબરીયાએ એક વાકયમાં કહ્યું કે, એસઆઇટી દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના બની ત્યારે હુ રાજકોટમાં ન હતી : ભાનુ બાબરીયા
બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, 25 મેને શનિવારે TRP ગેમ ઝોન દુર્ઘટના બની ત્યારે હું રાજકોટમાં નહોતી. જો કે, બીજા દિવસે રાજકોટ પહોંચી હતી.સાથે સિવિલ હોસ્પિટલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળી હતી અને સાંત્વના પાઠવી હતી. SITની રચના કરવામાં આવી છે ત્યારે તેમાં જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે પગલા લેવામાં આવશે.

જવાબદારોને સરકાર છોડશે નહીં: ગોવિંદ પટેલ
જ્યારે રાજકોટ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય નેતા ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના શરમજનક છે. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે સરકાર સતર્ક છે. જેથી ઉચ્ચ કક્ષાની SITની રચના કરી દીધી છે. SIT જે દિશામાં કાર્યવાહી કરી રહી છે અને એક્શન લઈ રહી છે તે યોગ્ય છે. જેમાં જે કોઈ પણ જવાબદાર છે તેમને સરકાર છોડશે નહીં તેવા મક્કમ નિર્ધાર સાથે જ SITની રચના કરવામાં આવી છે. રાજકોટની ઘટનાને કારણે રાજ્યભરમાં જ્યાં જ્યાં અસુવિધાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે.

TRP ગેમ ઝોનનો મામલો મારા ધ્યાનમાં આવેલો નથી: પુષ્કર પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલના RMCમાં કાર્યકાળ દરમિયાન TRP ગેમ ઝોન ખડકાયો અને મોટો થતો ગયો એ વિશે પુષ્કર પટેલે નિવેદન આપ્યું હતું કે, TRP ગેમ ઝોનનો મામલો મારા ધ્યાનમાં આવેલો નથી. જો મારી ક્યાંય સંડોવણી નીકળે તો જાહેર જીવન છોડવાની તૈયારી સાથે મારા પર પગલાં પણ લેવાય.









