- ગભરામણ થતા જયસુખ પટેલને ખસેડાયો હોસ્પિટલ
- મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર બાદ રજા અપાઈ
- જયસુખ પટેલની જામીન અરજી પર આજે ચૂકાદો
ઝુલતા પુલ દુર્ઘટના મામલે જેલમાં રહેલા આરોપી જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેલ અધિકારીઓને આ અંગે જાણકારી મળતા જ જયસુખ પટેલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ કરી તેમને રજા આપવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ, જેલમાં બંધ જયસુખ પટેલે ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતાં જેલ અધિકારીઓએ જયસુખ પટેલને હોસ્પિટલમાં લઈ ગયા હતા. આજે જયસુખ પટેલની જામીન અરજી પર ફેંસલો આવવાનો છે.
જાન્યુઆરીમાં કોર્ટમાં સરન્ડર કર્યું હતું
ગત 30મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા - ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં અગાઉ અજંતા - ઓરેવા કંપનીના બે મેનજર, ટિકિટબારી ક્લાર્ક, બે કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરતા સમયે પૂરતા પુરાવા મળતા અજંતા - ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી જાહેર કરી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના અનેક પ્રયાસો બાદ પણ જયસુખ પટેલ હાથ લાગ્યા ન હતા. ત્યારબાદ કોર્ટ મારફ્તે પકડ વોરંટ ઈસ્યુ થતા ગત 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.









