ભાવનગરની શેત્રુંજી નદી કાંઠો પાલિતાણાથી લઈને બગદાણા, જેસરથી લઈને રાજુલાના ધાતરવડી ડેમ આસપાસના ગામો, ખુંટવડા, આસરાણા, બાબરિયાધાર, મેરીયાણા, ખારી, નાની - મોટી ખેરાળી પથંકમાં સિંહ પરિવારના આંટાફેરા કરે છે. સૂર્યાસ્ત થતાં જ વાહન ચાલકોને વારંવાર સિંહ પરિવારનો ભેટો થઈ જવો હવે સામાન્ય બાબત બની ગઈ છે.
17થી વધુ સિંહ પરિવારના આંટાફેરા
રાજુલાના મોટી ખેરાળી ગામ, છાપરી, ડોળીયા ગામની પાદર ડુંગરિયાળ વિસ્તાર હોવાથી 2-5 જ નહીં પણ 17થી વધુ સિંહ પરિવારના આંટાફેરા જોવા મળે છે. જેમાં બચ્ચા, પાઠડા અને એડલ્ટ જોવા મળે છે. રાજુલા પંથકનો બૃહદ ગીરમાં સમાવેશ થઈ ગયો છે. પાંચેક વર્ષ પૂર્વે સિંહ જોઈને રાજુલા પંથકના ગ્રામજનો ફફડતા હતા. એ જ ગ્રામજનો હવે ખેતરના કેડે કે સડક માર્ગે સિંહને જોઈને થોડી વાર ઉભા રહી જાય છે. સિંહ બાજુમાંથી પસાર થઈ જાય છે. સિંહના મારણની વાત આવતા જ ગ્રામજનો કાન દઈને ઈન્તેજારી પૂર્વક વાત સાંભળતા હતા, તે હવે પશુ પ્રાણીની નોર્મલ વાતચીતની માફક વાતને હળવાશથી લેતા થઈ ગયા છે.
ડુંગરો સિંહ પરિવાર માટે નિવાસસ્થાન બન્યા
રાજુલા તાલુકાનું મોટી ખેરાળી ગામ રકાબી આકારનું ખાડામાં છે, પૂર્વ દિશામાં બાબરિયાધાર અને પશ્મિમમાં રાજુલા જંકશન (બર્બટાણા) છે, બર્બટાણાથી સીમથી લઈને બાબરિયાધાર સુધી ઉંચા ડુંગરો છે, જે ડુંગરો સિંહ પરિવાર માટે નિવાસસ્થાન બન્યા છે. મોટી ખેરાળી ગામથી ત્રણેક કિમી અંતરે છાપરી ગામ જતા માટે આ ડુંગળના ગાળામાંથી પસાર થવુ પડે છે પણ સૂર્યાસ્ત પછી બાઈક કાઢવામાં સાવધાની રાખવી પડે છે. ગ્રામજનોના કહેવા મુજબ બાઈક પણ 20થી 25 કિલોમીટરને સ્પીડે ચલાવી શકાય છે, અન્યથા સિંહનો ગમે ત્યારે રસ્તા વચ્ચે જ ભેટો થઈ જાય છે. અવાર નવાર રસ્તે નીકળતા ગ્રામજનોની સામે જ સિંહ પોતાની મસ્તીમાં ચાલતો આવતો મળી જાય છે પણ ગ્રામજનો નિર્ભય રીતે બાજુમાં થોડો સમય ઉભા રહે છે. સિંહ પણ હળવા ડગલા ભરતો બાજુમાંથી પસાર થઈ જાય છે. મોટી ખેરાળી ગામ સિંહ પરિવારનું નિવાસ સ્થાન બની ગયુ છે. સૂર્યાસ્ત થતાં જ ડુંગરાળ વિસ્તારમાં સિંહ પરિવાર ગામ તરફ પ્રયાણ કરે છે.
હવે ગ્રામજનો, પશુપાલકો પોતે ડર નથી અનુભતા પણ તેના પશુઓને બચાવવા રાતભર ચોકી કરવી કે જોકમાં ઉંચી જાળીઓ બાંધવી, લાઈટ ચાલુ રાખવી, રાત્રી દરમિયાન ઉભા થઈને બેટરી (ટોર્ચ)થી લાઈટ કરીને આસપાસમાં નજર રાખવાની આદત બની ગઈ છે, કારણ કે, ગામમાં રેઢીયાળ ઢોર બીજા જ દિવસે સિંહની ઝપટે ચડી જાય છે, એકાંતરા મારણના વાવડ સંભળાય છે. જેથી હવે ગ્રામજનો, પશુપાલકો પશુધન બચાવવા જાગતા સૂવે છે.
સોનારિયાના દાદર ચડતા જ ભેખડે સિંહ બેઠા હતા: પૂજારી
ડુંગર પર સોનારિયાએ ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં સવાર સાંજ પૂજા કરવા જતા કે આવતા અવાર નવાર સિંહ બેઠેલા જોયા છે. આજે જ ડુંગરના દાદર ચડતા સામે ભેખડ પર સિંહ બેઠેલા જોયા હતા. નીચે ધૂણા પાસે બેઠો હોય ત્યારે અવાર નવાર કુંડીએ પાણી પીવા આવે ત્યારે જોવા મળે છે. ગામની રેશનશોપ, ગામનો ચોક અને ગામના પ્રવેશદ્વાર પર એક ત્રણ ત્રણ જગ્યાએ હમણા પશુના મારણ કર્યા હતા. 17થી વધુ સિંહ આ પંથકમાં હરતા ફરતા જોવા મળે છે. સૂર્યાસ્ત થતા જ ડુંગરાળ વિસ્તારમાંથી ગામ તરફ સિંહ પ્રયાણ કરે છે. તાજેતરમાં જ એક ભાઈને નાના મોટા 7 સિંહનો પરિવાર જોવા મળ્યો હતો.
રોજ ઢળતી સાંજે કે મધરાત્રે સિંહની ગર્જના સાંભળવા મળે: ખેડૂત
સિંહના રોજ આટાંફેરા હોય છે, નીલગાય, રેઢીયાર ઢોરનું મારણ કરે છે. રોજ ઢળતી સાંજે કે મધરાત્રે સિંહની ગર્જના સાંભળવા મળે છે. મોડી રાત્રે ગામની અંદર સિંહ આંટા ફેરા કરી જાય છે. સીમમાં પણ ખેડૂતો વારંવાર સિંહને જોવે છે. સિંહ તેની મસ્તીમાં પસાર થઈ જાય છે. મેં પહેલા વખત જોયો ત્યાં અવાક્ થઈ ગયો હતો પણ હવે નવુ નથી લાગતુ. સીમમાં, ગામમાં કે રસ્તા પર ગમે ત્યારે સિંહનો ભેટો થઈ જાય છે. ફોરેસ્ટ ખાતુ પણ રાઉન્ડમાં રહે છે. લોકો પણ જાગૃત થઈ ગયા છે.
જેસર આસપાસમાં જ 4 મેલ, 3 ફિમેલ છે: એ.એ.ડાભી, ફોરેસ્ટર
જેસર પંથકથી લઈને રાજુલા પટ્ટામાં સિંહ પરિવાર મોટી સંખ્યામાં આટાંફેરા કરતા રહે છે, જેસર આસપાસના પંથકમાં હાલમાં 4 મેલ અને 3 ફિમેલ સિંહ વસવાટ કરે છે. ડુંગરાળ, જાડી ઝાખરાવાળા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે. જે રાત પડતા જ મારણ માટે નિકળે છે. દિવસભર ધાર કે ઘટ્ટાટોપ વૃક્ષો- ગીચતા વાળા વિસ્તારમાં પરિવાર સાથે આરામ કરતા રહે છે. લોકો જાગૃત થયા છે, કોઈ રંજાડ કરે તો તુરંત ડિપાર્ટમેન્ટને જાણ કરવી જોઈએ.













