• 400 દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ

  • અખાત્રીજની વહેલી સવારે તપસ્વીઓએ યાત્રા કરી ઈસુરસથી દાદાનો પક્ષાલ કર્યો : અંદાજે 25 હજાર લોકો હાજર
  • અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે

પવિત્ર શેત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં વર્ષીતપની આરાધના કરનાર 900 થી વધુ આરાધકોએ વર્ષીતપના પારણાં કર્યા હતા. અખાત્રીજના દિવસે ઋષભદેવ ભગવાનનું પારણું થયુ હતુ. ત્યારથી વર્ષીતપ કરવાની પરંપરા શરૂ થઈ છે. વર્ષી તપ એ 400 દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ રહેલું છે. વર્ષી તપના તપસ્વીઓ ઉપકારી ગુરુવર્યો,સાધુ - સાધ્વીજીઓના શ્રીમુખેથી ફગણ વદ આઠમના તપના પચ્ચખાણ અંગીકાર કરી મંડાણ કરે છે. અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે તપની પૂર્ણાહૂતિ થાય છે.અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે. અખાત્રીજ સર્વ શ્રોષ્ઠ મુહૂર્ત પણ ગણાય છે.અક્ષય એટલે જેનો ક્ષય ન થાય તે.અખાત્રીજને યુગાદિ તિથિ અને લોકબોલીમાં અખાત્રીજ કહેવાય છે.

પવિત્ર શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિરાજની જય તળેટી પાસે પારણા ભુવનમાં 900 થી વધુ તપસ્વીઓના ગીતાંજલિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ બોરીવલી મુંબઈ દ્વારા સમૂહ પારણાનો લાભ લીધો હતો. જેમાં કુલ 1018 તપસ્વીઓના પારણા નોંધાયા હતા.

તળેટીમાં આવેલા પારણાભુવન ખાતે તપસ્વીઓના પારણાની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરાઈ હતી. જેમાં દેશભરમાંથી જૈનો તેમજ વિદેશ વસતા ગુજરાતી જૈનએ પણ સમૂહમાં પારણા કર્યા હતા. વહેલી સવારે તપસ્વીઓએ યાત્રા કરી ઈસુરસથી દાદાનો પક્ષાલ કર્યો હતો. બાદમાં આદિનાથ દાદાની પક્ષાલની બોલી લાખો મણમાં બોલાઈ હતી. ત્યારે આ દિવસે આજે પાલીતાણામાં પારણાં પ્રસંગે 25,000 થી વધુ લોકો આવ્યા હતા. આચાર્ય જયશેખર સૂરીશ્વરજી મહારાજ સા. મુનિરાજ જયભદ્રવિજય મહારાજ, મુનિરાજ કેવલપૂર્ણ વિજયજી મહારાજ સા.ની નિશ્રામાં તપસ્વીઓના પારણા યોજાયા હતા.

એકાસણા, આયંબિલ દ્વારા પણ વર્ષી તપની આરાધના થઈ શકે

અમુક આરાધકોથી ઉપવાસ ન થઇ શકતો હોય તો એકાસણા, આયંબિલ વગરે નાની - મોટી તપશ્ચર્યા કરી વર્ષી તપની આરાધના કરતાં હોય છે. પ્રભુ પ્રત્યેના ભક્તિભાવથી તેઓએ કંડારેલી તપરૂપી કેડીને વર્ષી તપની પરંપરાને જૈન, અજૈન સૌ અનુસરી તપ માર્ગને આગળ ધપાવે છે. જૈન દર્શનમાં કહ્યું છે તપ કરવાથી, કરાવવાથી તથા તપસ્વીઓની અનુમોદના કરવાથી પણ કર્મ નિર્જરા થઇ શકે છે.


  • Follow us on: