પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમોભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બર 2024ના રોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. 16 સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધી આ ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. તેમજ દિવસેને દિવસે આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે. આ ટ્રેને આ સમયગાળા દરમિયાન 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક કરી છે. સાથે જ તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે.


આ ટ્રેન 12 એર-કન્ડિશન્ડ કોચથી સજ્જ

નમો ભારત રેપિડ રેલ આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેન 12 એર-કન્ડિશન્ડ કોચથી સજ્જ છે. જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, વેક્યૂમ ઈવેક્યુએશન સાથેના ટોઈલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગની સુવિધા સાથે સાથે અન્ય સુવિધાઓ પણ છે.

ફાયર ફાઈટિંગ સિસ્ટમ સાથે એલાર્મ સિસ્ટમથી પણ સજ્જ

આ ટ્રેનમાં સંપૂર્ણ સીલબંધ ફ્લેક્સિબલ ગેંગવે છે જે મુસાફરોને ગેંગવેની અંદર ધૂળ અને પાણીના પ્રવેશથી સુરક્ષિત કરે છે અને સલામત વાતાવરણ પૂરું પાડે છે. આ ટ્રેનમાં બેઠક અને ફ્લોરિંગ અગ્નિ પ્રતિરોધક છે. આ ટ્રેન ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન અને એરોસોલ આધારિત ફાયર ફાઈટિંગ સિસ્ટમ સાથે એલાર્મ સિસ્ટમથી પણ સજ્જ છે.

આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઉભી રહે છે.

  • Follow us on: