- ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાં જીવાત
- ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ
- હોટલ તરફથી કહ્યું 'આવુ તો થતું રહે': ગ્રાહકનો આક્ષેપ
ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાં જીવાત નીકળી છે. જેમાં ગ્રાહકનો આક્ષેપ છે કે હોટેલને ફરિયાદ કરતા જણાવાયું 'આવુ તો થતું રહે'. તેથી ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં ફૂડ રિલેટેડ ફરિયાદો થઇ રહી છે. આ મૌસમમાં ફૂડ વિભાગને જાગવું જરૂરી બન્યું છે.
બહારનું ચટપટુ ખાવાના શોખીનો ચેતજો
બહારનું ચટપટુ ખાવાના શોખીનો ચેતજો. બહારના ખોરાકમાંથી જીવાત અને અન્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે. જેમાં તાજેતરમાં જ જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાંથી મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હતી. ત્યારબાદ ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી પણ હોટલના રસોડામાં કોઈ વાંધાજનક મળી આવ્યું નહતું. ઉલ્લેખનીય છે કે જામનગરની હોટેલો અને ફૂડ પેકેટમાંથી અખાદ્ય ખોરાક તેમજ જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે.
અગાઉ આઈસક્રીમમાંથી નીકળી હતી જીવાત
થોડા દિવસ પહેલા જ છાશવાળા પાર્લરના આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી હતી. તેમજ ગ્રાહકે ખરીદેલા આઈસક્રીમમાંથી જીવાત નીકળતા લોકો ચોંકી ગયા હતા. જેમાં જીવાત નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફૂડ વિભાગે પાર્લર સંચાલકને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
ગેલોપ્સ હોટલના વેજિટેલબ રાયતામાંથી જીવડું નીકળ્યુ હતું
રાજકોટના ક્ષત્રિય પરિવાર ગત તારીખ 24મીએ લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ગેલોપ્સ હોટલમાં જમવા રોકાયા હતા. જેમાં વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. હોટલના મેનેજરને આ અંગે ફરિયાદ કરતા તેઓએ હ્યુમન એરર ગણાવી હતી. રાજકોટના ધર્મદીપસિંહ મનહરસિંહ રાણા પરિવાર સાથે તારીખ 24ના રોજ કારમાં બરોડાથી રાજકોટ જતા હતા. બપોરે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર હોટલ ગેલોપ્સે જમવા રોકાયા હતા. જેમાં કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનો ઓર્ડર કર્યો હતો.









