વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે.
વિકાસ સપ્તાહની ઉજવણી
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત દાંતીવાડા તાલુકાના ચોડુંગરી મુકામે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરાઈ હતી. થીમેટિક દિવસને ધ્યાને લઈને આત્મા વિભાગ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. આત્માના બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી પૂજાબેન જોશી દ્વારા ખેડૂતોને આત્મા યોજનાના લાભો તેમજ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અપાઈ હતી.
તાલુકામાં યોજાય છે અનેકવિધ કાર્યક્રમો
તાલુકા સંયોજક કરશનભાઈ માળી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે બાબતે માહિતી અપાઈ હતી. ફાર્મર માસ્ટર ટ્રેનરશ્રી અરવિંદભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માહિતી અપાઈ હતી. જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન તેમજ જંતુનાશક અસ્ત્રો વિશે માહિતી આપવામાં આવી હતી.
જાણો કેમ ઉજવાય છે વિકાસ સપ્તાહ
ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7મી, ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈ રાજ્યના શાસનની ધૂરા હસ્તગત કરી હતી ત્યારબાદથી રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારે 7મીથી 15 ઓકટોબર સુધીના એક સપ્તાહને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો જે નિર્ણય કર્યો છે. તે મુજબ, 2001થી 2024 સુધીની નરેન્દ્ર મોદીના સતત અને સળંગ 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 7મીથી 15મી, ઓક્ટોબર સુધી થનારી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.