ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 23 એપ્રિલ, 2026ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં દિવ્યાંગ (PwD) અને વરિષ્ઠ નાગરિકો કોઈપણ અવરોધ વગર અને ગૌરવપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.
સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, દિવ્યાંગ મતદારો માટે નિમાયેલ નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી દ્વારા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના વિવિધ ગામો જેવા કે ઉમરેઠ, લીંગડા, ગમાનપુરા, કાસોર, ભાલેજ, થામણા, ખંભોળજ, ઓડ, ખાનકુવા, કણભાનીપુરા, રાસનોલ અને ચિખોદરાના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ‘Assured Minimum Facilities’ (AMF) એટલે કે 'સુનિશ્ચિત ન્યૂનતમ સુવિધાઓ'ની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
મતદાન મથકો ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવ્યા
દિવ્યાંગ મતદારોની સુવિધા માટે લેવાયેલા મુખ્ય નિર્ણયો અને વ્યવસ્થાઓમાં દિવ્યાંગોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવ્યા છે. જે મતદાન મથકોમાં પગથિયા છે, ત્યાં નિયત ધોરણો મુજબના ઢાળવાળા પાકા રેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમજ અન્ય સુવિધાઓમાં દિવ્યાંગો માટે અનુકૂળ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણી તંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભાના તમામ દિવ્યાંગ ભાઈ-બહેનો આગામી 23 એપ્રિલના રોજ અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે. વધુમાં તમામ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો કોઈપણ અગવડ વગર, શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ગૌરવ સાથે પોતાનો અમૂલ્ય મત આપી શકશે તેવી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું નોડલ ઓફિસર (પી.ડબલ્યુ.ડી) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.પી.ત્રિવેદી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.
આ પણ વાંચો : Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો