અમદાવાદ સહિત રાજ્યના વાહનચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં સીધો રૂ. 4નો વધારો કરી દેવાતા દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના બજેટ ખોરવાઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે સીએનજી પર પસંદગી ઉતારનારા વાહનચાલકો પર હવે મોંઘવારીનો બમણો માર પડ્યો છે.

જૂનો ભાવ અને નવો ભાવ

આ ભાવવધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારા પહેલા સીએનજીનો જૂનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. સીધા 4 રૂપિયાના વધારાને કારણે મહિને હજારો રૂપિયાનો વધારાનો બોજ વાહનચાલકો પર પડશે. ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતામાં તીવ્ર વધારો થયો છે.

સામાન્ય જનતા અને ધંધાદારીઓ પર અસર

સીએનજીના ભાવ વધતાની સાથે જ તેની સીધી અસર રોજીંદી રાઇડ્સ અને ટ્રાન્સપોર્ટેશન પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો હવે ભાડા વધારાની માંગ કરી શકે છે, જેનાથી સામાન્ય મુસાફરોના ખિસ્સા પણ ખાલી થશે. ગેસ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ અને પુરવઠાના પરિબળોને આગળ ધરીને આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ વાહનચાલકોમાં આ વધારાને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો