રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનાં વધતાં ઉપયોગને કારણે જમીનની ઉપજશક્તિ ઘટી રહી છે અને ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે એક ટકાઉ અને લાભદાયી વિકલ્પ બની રહી છે.ખાસ કરીને તલ જેવા ઓછા ખર્ચાળ અને ઊંચી બજાર કિંમત ધરાવતી પાકમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂત પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે સારી આવક મેળવી શકે છે. તલ એક એવો પાક છે, જે ઓછા પાણીમાં અને મધ્યમ જમીનમાં પણ સારી રીતે ઉગે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનની કુદરતી ઉર્વરતા જળવાઈ રહે છે અને લાંબા ગાળે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.
પાકને જરૂરી પોષક તત્ત્વો કુદરતી રીતે ઉપલબ્ધ
તલનો ઉપયોગ ખાદ્ય તેલ, આયુર્વેદિક દવાઓ, ધાર્મિક પ્રસાદ તેમજ ચિક્કી અને લાડુ જેવી મીઠાઈઓમાં થાય છે, જેનાં કારણે તેની માંગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહી છે.પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોના બદલે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવા દેશી અને કુદરતી ઉપાયો અપનાવવામાં આવે છે. વાવણી પહેલાં બીજામૃતથી બીજની સારવાર કરવાથી પાકમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરૂઆતથી જ પાક સ્વસ્થ રહે છે. જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવો સક્રિય બને છે, જેનાં કારણે પાકને જરૂરી પોષક તત્ત્વો કુદરતી રીતે ઉપલબ્ધ થાય છે.












