આણંદ જિલ્લામાં બોરસદ,આંકલાવ,ઉમરેઠ તાલુકામાં છેલ્લા પાંચ-છ વર્ષથી ખેડૂતો કેળાની ખેતી તરફ વળ્યાં છે. ગત વર્ષોમાં કેળના ભાવ સારા મળતા આ વર્ષે ચરોતરના ખેડૂતો દ્વારા મોટાપાયે કેળાની ખેતી કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે કેળાની ખેતી કરતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. કેળાનો ભાવ આ વર્ષે સાવ તળિયે બેસી જતા કરેલ ખર્ચ કાઢવો પણ અઘરું બન્યું છે.
કેળાનો ભાવ ખેડૂતોને ના મળતા ખેડૂતોમાં નારાજગી
આણંદ જિલ્લામાં કેળાની ખેતી 4 હજાર હેક્ટરમાં થાય છે. કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. છેલ્લા પાંચ વર્ષથી કેળાના ભાવ ઉંચા રહેતા હોવાથી ખેડૂતો કેળાની ખેતી તરફ વળ્યા હતા. 2021થી કેળાનો ભાવ મણે 350 થી 600 વચ્ચે રહેતો હતો. આ વખતે 1 મણ કેળાનો ભાવ 120 રૂપિયા આપવા પણ વેપારીઓ તૈયાર નથી. ચરોતર ઉપરાંત અન્ય પંથકમાં મોટા પ્રમાણમાં કેળાના આવક થતા ભાવ ગગડી ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. હાલમાં દૈનિક 200 ટન વધુ કેળા આવક સ્થાનિક કક્ષાએથી આવે છે. એમપી અને અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં કેળા આવી રહ્યાં છે. કેળાની માંગ કરતાં ચાર ગણો માલ બજારમાં ઠલવાઇ ગયો હોવાથી 400 રૂપિયે મણ વેચાતા કેળાના ભાગ ગગડી ગયા છે. હાલમાં વેપારીઓ કેળા લેવા તૈયાર નથી જેને લઇને ખેડૂતોને કેળની લુમ કાપવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે.
ખેડૂતને 1 વીઘા કેળાની ખેતી પાછળ 70 હજારથી વધુનો ખર્ચ થાય છે
હાલમાં કેળા ભાવ 100ની આસપાસ થઇ ગયો હોવાથી વીઘે 70 હજાર મળી રહ્યા છે. જેથી ખેડૂતોને કેળાની લુમ કપાવાનો ખર્ચ પણ માથે પડે છે. જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કેળાની ખેતી પાછળ વીઘે 70 થી 80 હજારનો ખર્ચ થાય છે. કેળાના રોપણીથી લઇને ખાતર, પાણી, જાળવણી અને મંજૂરી ખર્ચ પાછળ વીઘે 70 થી 80 હજારનો ખર્ચ થાય છે. તેની સામે વિઘે 600 મણની આસપાસ ઉતારો મળે છે. 100થી 120 રૂપિયે મણ જાય તો 60 હજારની આવક થાય છે. જેથી ખેડૂતોને હાલમાં 10 થી 20 હજારની ખોટ જઇ રહી છે.









